સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાત રાજ્ય હાલ ભીષણ ગરમી અને અસહ્ય ઉકળાટની લપેટમાં આવી ગયું છે.રવિવારે તાપમાનમાં વધારો થતા સૌરાષ્ટ્રના સાત શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર નોંધાયો છે.રાજ્યમાં સતત બીજા દિવસે પણ સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી નોંધાયું છે,જ્યારે રાજકોટમાં 43.5 ડિગ્રી અને અમરેલીમાં 43.3ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતમાં ગરમીનો પારો વધતા કપડાની સાથે અંગ દઝાડતા આકરા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

હવામાનની ખાસ ચેતવણી આપવામાં આવી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,છેલ્લા 24 કલાક દરમિયાન ભુજમાં 42.6, જુનાગઢમાં 42.3, કંડલા એરપોર્ટમાં 42, ભાવનગરમાં 41.2, કેશોદ અને મહુવામાં 39, દીવ 37.5, પોરબંદરમાં 35.4, ઓખામાં 35, વેરાવળમાં 32.4 અને દ્વારકામાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.તા.18 મેના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે બફારા અને અકળામણ આપતી 'હોટ એન્ડ હ્યુમિડ' હવામાનની ખાસ ચેતવણી આપવામાં આવી છે.

તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો સામાન્ય ઘટાડો

યલો એલર્ટના બે દિવસ પછી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો સામાન્ય ઘટાડો થવાની આશા છે, પરંતુ આગામી પાંચ દિવસ સુધી ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર જ રહેશે. બીજી તરફ, પ્રિમોન્સૂન એક્ટિવિટી વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગામી 2થી3 દિવસમાં બંગાળની ખાડી અને આંદામાન તરફ આગળ વધશે અને આગામી 26મી મેની આસપાસ કેરળમાં દસ્તક દે તેવી પ્રબળ સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat News: વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ઉપર 120થી વધુની સ્પીડે વાહન હંકારશો તો 1500 રૂપિયાનો દંડ