રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવત હાલ રાજકોટની મુલાકાતે છે, જ્યાં તેમણે 'પ્રમુખજન-વિચાર ગોષ્ઠિ' કાર્યક્રમમાં હાજરી આપી અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સંઘ ક્યારેય ભાજપને કંટ્રોલ કરતું નથી અને RSS વોટ બેંકની રાજનીતિમાં માનતું નથી. અનામત જેવા સંવેદનશીલ વિષય પર બોલતા તેમણે કહ્યું કે, સ્વાર્થી રાજનીતિને કારણે આજે અનામત એક રાજકીય મુદ્દો બની ગયો છે. દેશની અખંડિતતા વિશે વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું કે, અત્યારે 1947 જેવી સ્થિતિ નથી કે કોઈ પણ દેશને તોડી શકે.
RSS વડાની સ્પષ્ટતા
સામાજિક સમરસતા પર ભાર મૂકતા મોહન ભાગવતજીએ જણાવ્યું કે, હિન્દુ અને મુસ્લિમ સમાજ સાથે રહી શકે છે, પરંતુ તે માટે અમુક સામાજિક નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. આશ્ચર્યજનક રીતે તેમણે ઉલ્લેખ કર્યો કે સંઘ ગાંધીવાદી વિચારધારા સાથે સહમત છે અને તેને અનુસરે છે. નવી પેઢી વિશે વાત કરતા તેમણે ચિંતા વ્યક્ત કરી કે યુવાનો અત્યારે એક 'કોરી સ્લેટ' સમાન છે, જેમને સંવાદની કલા અને સંસ્કારો શીખવવા પડશે. આ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ અને વિચારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.













