નાણાકીય વર્ષ 2025-26 ના અંતિમ દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ વેરા વસૂલાત માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. મનપા દ્વારા ચાલુ વર્ષે ₹455 કરોડના મિલકત વેરા વસૂલાતનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેની સામે અત્યાર સુધીમાં ₹410 કરોડની વસૂલાત કરી લેવામાં આવી છે. બાકી રહેતા ₹45 કરોડ વસૂલવા માટે તંત્રએ રજાના દિવસોમાં પણ કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
સરકારી કચેરીઓનો કરોડોનો વેરો બાકી
મનપાની વેરા વસૂલાતની કામગીરીમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે સામાન્ય નાગરિકો વેરો ભરી રહ્યા છે પરંતુ શહેરની વિવિધ સરકારી કચેરીઓનો જ ₹90 કરોડ જેટલો માતબર વેરો બાકી છે. મનપા દ્વારા હવે આ સરકારી સંસ્થાઓ પાસેથી પણ કડક હાથે વસૂલાત કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.










