રાજકોટ જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલી મહિલાઓની જગ્યાએ પતિદેવો દ્વારા વહીવટ કરાતો હોવાની ફરિયાદો મળતા જીલ્લા વિકાસ અધિકારી (DDO) લાલઘૂમ થયા છે. આ બાબતે ચાર મુદ્દાઓ સાથે તમામ પંચાયતને પરિપત્ર મોકલવામાં આવ્યો છે.
પતિદેવ વહીવટ કરશે તો તલાટી કમ મંત્રી સામે કાર્યવાહી
DDO દ્વારા પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ચૂંટાયેલ મહિલા પ્રતિનિધિને બદલે પતિદેવ વહીવટ કરશે તો તલાટી કમ મંત્રી સામે કાર્યવાહી થશે.
પંચાયતની સભા બેઠકમાં પતિદેવોની હાજરી નહીં ચાલે
અન્ય સૂચનામાં જણાવાયું છે કે પંચાયતની સભા બેઠકમાં પતિદેવોની હાજરી નહીં ચાલે. માત્ર ચૂંટાયેલી મહિલા હાજર હોવી જોઈએ
તલાટી મંત્રી સામે કાર્યવાહી કરાશે તેવી ચીમકી
ઉપરાંત પંચાયતના સરકારી રેકર્ડ કે ચેક બુકમાં ચૂંટાયેલ પ્રતિનિધિની સહી હોવી જોઈએ. ચૂંટાયેલ પ્રતિનિધિ બદલે અન્ય કોઈની સહી હશે તો તલાટી મંત્રી સામે કાર્યવાહી કરાશે તેવી ચીમકી અપાઇ છે.
અનેક ગામોમાં ફરિયાદ મળી
રાજકોટ જિલ્લા પંચાયતના અનેક ગામોમાં ફરિયાદ મળી છે કે ઘણા સ્થળોએ પતિદેવો દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે. આ પગલાંનો હેતુ ચૂંટણી દ્વારા નિમણૂક થયેલી મહિલાઓના અધિકારોનું રક્ષણ અને સ્થાનિક સ્વરાજની પ્રક્રિયાને મજબૂત બનાવવાનો છે.
આ પણ વાંચો---- AMCમાં વહીવટદાર શાસન નિશ્ચિત, 9 માર્ચે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ પૂર્ણ થશે