રાજકોટ શહેરના નિર્મલા રોડ જેવા પોશ વિસ્તારમાં જાહેર રસ્તા પર મારામારી કરીને આતંક ફેલાવનાર શખ્સો સામે પોલીસે કડક હાથે કાર્યવાહી કરી છે. નિર્મલા રોડ પર થયેલી જૂથ અથડામણ અને મારામારીની ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ગુનેગારોમાં પોલીસનો ડર રહે તે હેતુથી, પોલીસ દ્વારા તમામ ઝડપાયેલા આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન
આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીઓએ કઈ રીતે હુમલો કર્યો અને કઈ રીતે ભાગી ગયા તે અંગેની વિગતો મેળવવામાં આવી હતી. આટલું જ નહીં, જાહેરમાં શાંતિ ભંગ કરનાર આ શખ્સોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસે તેઓની પાસે જાહેરમાં માફી પણ મંગાવી હતી. આ દ્રશ્યો જોઈને સ્થાનિક રહીશોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં ગુંડાગીરી કે લુખ્ખાગીરી કરનાર કોઈપણ શખ્સને બક્ષવામાં આવશે નહીં.













