રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઈંધણની અછતને લઈ સર્જાયેલી અફરાતફરીના મામલે મોટું પગલું ભરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા વિરુદ્ધ લોકોને ગેરમાર્ગે દોરવા અને ખોટું નિવેદન આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

નિવેદનને કારણે નાગરિકોમાં ભારે 'પેનિક' સર્જાયું

આ ફરિયાદ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) રાજકોટના સેલ્સ હેડ અમિત જયસ્વાલ દ્વારા નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, ગોપાલ ચુડાસમાએ જાહેરમાં એવું નિવેદન આપ્યું હતું કે પેટ્રોલ પંપ પર ઈંધણનો જથ્થો પૂરો થઈ ગયો છે. આ પાયાવિહોણા નિવેદનને કારણે નાગરિકોમાં ભારે 'પેનિક' સર્જાયું હતું અને શહેરના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ હતી.

કંપની પાસે હતો પૂરતો જથ્થો

IOCL ના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે જ્યારે ડીલરો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે કંપની તરફથી લેખિત અને મૌખિક ખાતરી આપવામાં આવી હતી કે તેમની પાસે ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમ છતાં, ગોપાલ ચુડાસમાએ જવાબદાર પદ પર હોવા છતાં ખોટું નિવેદન આપી લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. આ ઘટનાને પગલે વહીવટી તંત્રે કડક વલણ અપનાવ્યું છે જેથી ભવિષ્યમાં કોઈ જવાબદાર વ્યક્તિ અફવા ફેલાવીને અરાજકતા ઊભી ન કરે.


આ પણ વાંચો---     Gujarat વિધાનસભામાં હાસ્યની છોળો, UCCની ગંભીર ચર્ચા વચ્ચે ખેડાવાલાના લગ્ન અને સ્વયંવરની વાતો