સૌરાષ્ટ્રના હબ ગણાતા શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન પાસે આવેલો નેશનલ હાઈવેનો સર્વિસ રોડ અત્યારે વાહનચાલકો માટે જીવનું જોખમ બની ગયો છે. છેલ્લા ત્રણ વર્ષથી શિવ હોટલ પાસે સર્વિસ રોડ પર ગટરો ખુલ્લી હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. આ બેદરકારીને કારણે આ વિસ્તાર હવે ‘અકસ્માત ઝોન’માં ફેરવાઈ ગયો છે.

3 વર્ષથી ખુલ્લી ગટર

સ્થાનિકો અને રાહદારીઓના જણાવ્યા મુજબ, શિવ હોટલ પાસે સર્વિસ રોડ પર ગટરના ઢાંકણા ન હોવાથી ત્રણ વર્ષમાં અનેક કાર, રિક્ષા અને દ્વિચક્રી વાહનો આ ઊંડી ગટરમાં ખાબક્યા છે. રાત્રિના સમયે અંધારામાં આ ખુલ્લી ગટર દેખાતી ન હોવાથી અકસ્માતની શક્યતાઓ અનેકગણી વધી જાય છે. અનેક લોકો અહીં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના બનાવો પણ સામે આવ્યા છે.

એસોસિએશનની અનેક રજૂઆતો

શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આ ગંભીર સમસ્યા અંગે નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) ને અસંખ્યવાર લેખિત અને મૌખિક અરજીઓ કરવામાં આવી છે. તેમ છતાં, હાઈવે તંત્રના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. ઉદ્યોગપતિઓ અને કામદારોમાં તંત્રની આ નિંભરતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તંત્ર દૂર્ઘટનાની રાહ જુવે છે

નેશનલ હાઈવે તંત્ર જાણે કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું હોય તેમ આ જોખમી ગટરો ખુલ્લી રાખીને બેઠું છે. જો વહેલી તકે આ ગટરો પર મજબૂત ઢાંકણા બેસાડવામાં નહીં આવે, તો ઉદ્યોગ અગ્રણીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.


આ પણ વાંચો---     Ahmedabad : 34 વર્ષ પછી કબરમાંથી બોલી લાશ, વટવાના જે મકાનને લોકો ભૂતિયુ માનતા હતા ત્યાંથી ખુલ્યું મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય!