રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક અહેવાલ મુજબ, વર્ષ 2025 માં મનપાના કોલ સેન્ટર પર કુલ 4.67 લાખ ફરિયાદો નોંધાઈ છે. આ આંકડાઓમાં સૌથી વધુ ચોંકાવનારી વિગત ડ્રેનેજ વિભાગની છે, જેમાં ગટર ચોકઅપ અને મેઈન લાઈન ઓવરફ્લો જેવી સમસ્યાઓને લઈને 2.65 લાખ ફરિયાદો મળી છે. એટલે કે, સરેરાશ દરરોજ 1280 ફરિયાદો માત્ર ડ્રેનેજ વિભાગને મળી રહી છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ, સફાઈ અને પાણી વિતરણને લઈને પણ મોટી સંખ્યામાં લોકોએ પોતાની હાલાકી નોંધાવી છે. જોકે, મનપા તંત્રએ દાવો કર્યો છે કે તેમાંથી 4.62 લાખ જેટલી ફરિયાદોનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે.
સ્માર્ટ સિટીમાં ગંદકીનો ભરડો
બીજી તરફ, વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ આ આંકડાઓને લઈને સત્તાધારી પક્ષ અને તંત્ર સામે આકરા સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે જો શહેરમાં કાયમી ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં આવે તો 50% ફરિયાદો આપોઆપ ઘટી શકે તેમ છે, પરંતુ તંત્ર માત્ર થીંગડા મારવાનું કામ કરી રહ્યું છે. અહેવાલમાં એ પણ સામે આવ્યું છે કે ફાયર વિભાગની 139 ફરિયાદો હજુ પણ 'ઓપન સ્ટેટસ' માં છે, જે ગંભીર બેદરકારી સૂચવે છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે પાયાની જરૂરિયાતો માટે જનતાએ આટલી મોટી સંખ્યામાં ફરિયાદો કરવી પડે તે વહીવટી નિષ્ફળતા હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.













