રંગીલા રાજકોટમાં મંદિરોના ડિમોલિશનના મુદ્દે વાતાવરણ ગરમાયું છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 16 મંદિરોને હટાવવાની હિલચાલ શરૂ કરવામાં આવતા હિન્દુ સંગઠનો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ આ મામલે મેદાનમાં આવીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો છે.

VHPની ઉગ્ર રજૂઆત, "ધાર્મિક લાગણી સાથે ચેડાં ન કરો"

વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જે મંદિરો ટ્રાફિક કે રસ્તામાં નડતરરૂપ નથી, તેમને તોડવાની કોઈ જરૂર નથી. હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને માન આપીને આ ડિમોલિશન પ્લાન તાત્કાલિક રોકવો જોઈએ. VHP એ આ તબક્કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો હવાલો આપીને તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે.

1000 મંદિરોની યાદીથી હડકંપ

રાજકોટ શહેરમાં ચર્ચા જાગી છે કે, તંત્ર દ્વારા 1000 જેટલા મંદિરોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેને પગલે રાજકીય અને સામાજિક ગરમાવો વધી ગયો છે. ખાસ કરીને રાત્રિના સમયે મંદિરો તોડવાની ચર્ચાએ લોકોમાં રોષ ફેલાવ્યો છે. હિન્દુ સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે, જો બળજબરીથી મંદિરો તોડવામાં આવશે, તો આંદોલન છેડવામાં આવશે.

તંત્રનો પક્ષ અને રાજકીય સ્થિતિ

RMC દ્વારા વિકાસલક્ષી કામો અને રસ્તા પહોળા કરવા માટે આ સર્વે કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જોકે, ધાર્મિક સ્થાનોના ડિમોલિશનની વાત આવતા જ મામલો સંવેદનશીલ બની ગયો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર સંગઠનોની માંગણી સામે નમતું જોખે છે કે, પછી ડિમોલિશનની પ્રક્રિયા આગળ ધપાવે છે.


આ પણ વાંચો - Rajkot RTO બન્યું સ્માર્ટ: કલર કોડેડ નેવિગેશન સિસ્ટમનો પ્રારંભ, હવે એજન્ટો વગર સીધું જ થશે કામ