ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિમાં પોરબંદરના નાગરિકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. પોરબંદરના લગભગ 10થી 15 હજાર યુવકો અને યુવતીઓ ફસાયા હોવાની વિગતો સામે આવતા તેમના પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. બીજી તરફ રાજકોટનો પરિવાર પણ ચિંતામાં મુકાયો છે. પરિવારના ચાર સભ્યો પૈકી ત્રણ લોકો દુબઈમાં ફસાયા છે.
પરિવારના ચાર સભ્યો પૈકી ત્રણ દુબઈમાં રહે છે
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ થઈ રહ્યું છે. આ યુદ્ધ દરમિયાન દુબઈ અને અબુધાબી એરપોર્ટને પણ અસર થવા પામી છે. યુદ્ધના કારણે રાજકોટનો પરિવાર ચિંતામાં મુકાયો છે. આ પરિવારના ચાર સભ્યો પૈકી ત્રણ લોકો દુબઈમાં ફસાયા છે. આ લોકો જ્યાં રહે છે ત્યાંથી 20 કિ.મી દૂર મિસાઈલ પડી હતી. આ પરિવારના સભ્યો છેલ્લા ત્રણ વર્ષથી રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે. ગઈકાલે બુર્જ ખલીફાની લાઈટો બંધ કરાઈ હતી.
દુબઈમાં લોકોને ઘરમાં જ રહેવાની સલાહ અપાઈ
દુબઈમાં રહેલી યુવતીએ તેની માતા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, મિસાઈલના ધડાકાના અવાજ આવતા જ લોકો ડરી જાય છે. દુબઈના લોકોને ઘરમાં જ રહેવા સલાહ અપાઈ છે. દુબઈના મોટા ભાગના વિસ્તારો સલામત છે. દુબઈમાં રહેતા વિદેશના લોકો પણ ચિંતિત છે. અહીં રહેતા ગુજરાતીઓ એક બીજાને મદદ કરી રહ્યાં છે. યુવતીના પરિવારજનોને ભારત સરકાર પર ભરોસો રાખ્યો છે.









