25 મે 2024ની એ ગોઝારી સાંજ રાજકોટવાસીઓ અને સમગ્ર ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે.રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી (TRP)ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગે જોતજોતામાં રમત-ગમતના હસતા-રમતા વાતાવરણને સ્મશાનભૂમિમાં ફેરવી નાખ્યું હતું.વેકેશનનો આનંદ માણી રહેલા નિર્દોષ બાળકો અને પરિવારો સહિત 27 જેટલા લોકો આ ભયાનક અગ્નિકાંડમાં હોમાઈ ગયા હતા.

આજે પણ એ માસૂમોની કીકીયારીઓ શમી નથી

બે વર્ષ વીતી ગયા હોવા છતાં આજે પણ એ માસૂમોની કીકીયારીઓ શમી નથી અને સ્વજનોની આંખોના આસુ સુકાયા નથી. ટીઆરપી ગેમ ઝોનની રાખમાંથી સરકારી તંત્રએ જે બોધપાઠ લેવાનો હતો તે ખૂબ જ મોંઘો અને લોહીથી લખાયેલો છે.આ દુર્ઘટના એ કોઈ કુદરતી આપત્તિ નહોતી, પરંતુ સરકારી વિભાગોની મિલીભગત,આંખ આડા કાન કરવાની નીતિ અને ઘોર બેદરકારીનું પરિણામ હતી.કોઈ પણ પ્રકારની ફાયર એનઓસી (NOC) વગર, ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા રેઝિન અને પતરાના આ આખા માળખાને તંત્રના આશીર્વાદથી ધમધમતો રાખવામાં આવ્યો હતો.

ચાર દુર્ઘટનાઓમાં રાજકોટનો કેસ પ્રથમ બોર્ડ પર આવ્યો

તંત્રએ સૌથી મોટો બોધપાઠ એ લેવાનો છે કે વહીવટી મંજૂરીઓ માત્ર ટેબલ પરની ફાઈલો પૂરતી સીમિત ન રહેવી જોઈએ.ફાયર સેફ્ટી,સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અને લોકોની સુરક્ષા સાથે બાંધછોડ કરનારા તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ'ની નીતિ જ ભવિષ્યની આવી હોનારતો અટકાવી શકશે.આ ઘટનાના સમગ્ર કેસને લઈ એડવોકેટ સુરેશ ફળદુએ કહ્યું હતું કે, સમગ્ર કેસમાં પીએમ કરનાર પાંચ ડોક્ટરોની જુબાની લેવાઈ છે. એક ડોક્ટરની જુબાની આગામી સમયમાં લેવાશે. કેસ મોડો ચાલે તેવા આરોપીઓ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા પણ રાજ્યની ચાર દુર્ઘટનાઓમાં રાજકોટનો કેસ પ્રથમ બોર્ડ પર આવ્યો છે.

આ પણ વાંચોઃ Kachchh News: ભચાઉ પોલીસે કોમ્બિંગ કરી 42 શંકાસ્પદોની પૂછપરછ કરી, 16 વાહનો ડિટેઈન કર્યા