25 મે 2024ની એ ગોઝારી સાંજ રાજકોટવાસીઓ અને સમગ્ર ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે.રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી (TRP)ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગે જોતજોતામાં રમત-ગમતના હસતા-રમતા વાતાવરણને સ્મશાનભૂમિમાં ફેરવી નાખ્યું હતું.વેકેશનનો આનંદ માણી રહેલા નિર્દોષ બાળકો અને પરિવારો સહિત 27 જેટલા લોકો આ ભયાનક અગ્નિકાંડમાં હોમાઈ ગયા હતા.
આજે પણ એ માસૂમોની કીકીયારીઓ શમી નથી
બે વર્ષ વીતી ગયા હોવા છતાં આજે પણ એ માસૂમોની કીકીયારીઓ શમી નથી અને સ્વજનોની આંખોના આસુ સુકાયા નથી. ટીઆરપી ગેમ ઝોનની રાખમાંથી સરકારી તંત્રએ જે બોધપાઠ લેવાનો હતો તે ખૂબ જ મોંઘો અને લોહીથી લખાયેલો છે.આ દુર્ઘટના એ કોઈ કુદરતી આપત્તિ નહોતી, પરંતુ સરકારી વિભાગોની મિલીભગત,આંખ આડા કાન કરવાની નીતિ અને ઘોર બેદરકારીનું પરિણામ હતી.કોઈ પણ પ્રકારની ફાયર એનઓસી (NOC) વગર, ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા રેઝિન અને પતરાના આ આખા માળખાને તંત્રના આશીર્વાદથી ધમધમતો રાખવામાં આવ્યો હતો.
