નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા પ્રાચીન ધર્મેશ્વર મહાદેવ મંદિરના પૂજારીના રૂમમાંથી વન્ય પ્રાણીઓના ચામડા અને નખ મળી આવવાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે. એક સાથે 40 જેટલા શંકાસ્પદ વાઘના ચામડા અને 130થી વધુ નખ મળી આવતા વન વિભાગ અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. જોકે, આ મામલે વન વિભાગના ઉચ્ચ અધિકારીના નિવેદને અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે.
DFO નો દાવો 'પ્રાથમિક દૃષ્ટિએ નકલી લાગે છે'
નર્મદા વન વિભાગના DFO અભય સિંહે આ બાબતે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, જે ચામડા અને નખ મળી આવ્યા છે તે પ્રથમ દૃષ્ટિએ નકલી જણાય છે. તેમના જણાવ્યા અનુસાર ચામડાની તપાસ દરમિયાન તેનો રંગ નીકળતો નહોતો.તેનો પ્રકાર અને બનાવટ કુદરતી ચામડા જેવી જણાતી નથી.નખની બનાવટમાં પણ શંકાસ્પદ તત્વો જોવા મળ્યા છે.










