અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં અંધશ્રદ્ધાના નામે અબોલ પશુઓની બલી ચઢાવવાની એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અંધશ્રદ્ધામાં અંઘ બનેલા કેટલાક શખ્સો દ્વારા પશુઓની બલી આપવાનું કૃત્ય કરવામાં આવી રહ્યું હતું, જેની જાણ થતા જ જીવદયા પ્રેમીઓ અને પોલીસની ટીમે સ્થળ પર દોડી જઈ કાર્યવાહી કરી હતી.

અંધશ્રદ્ધાના નામે અબોલ પશુઓની બલી 

મળતી માહિતી મુજબ, સાણંદ વિસ્તારમાં અંધશ્રદ્ધાના કોઈ વિધિ-વિધાન માટે કુલ 11 પાડાઓને બલી ચઢાવવા માટે લાવવામાં આવ્યા હતા. કમનસીબે, પોલીસ અને જીવદયા પ્રેમીઓની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલા જ નરાધમ આરોપીઓએ 5 પાડાઓની બલી ચઢાવી દીધી હતી. જોકે, ટીમની સમયસૂચકતાને કારણે બાકી રહેલા 6 પશુઓને મોતના મુખમાંથી આબાદ રીતે બચાવી લેવામાં આવ્યા છે.

પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી

જીવદયા પ્રેમીઓની રજૂઆત બાદ સાણંદ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. બચેલા 6 પશુઓને મુક્ત કરાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ અમાનવીય કૃત્ય કરનાર આરોપીઓ સામે પશુ ક્રૂરતા પ્રતિબંધ ધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Anand: ઉમરેઠમાં આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિક તપાસનો ધમધમાટ