સુરતના પુણા વિસ્તારમાં રહેતા એક પરિવારે અજાણતામાં આર્થિક આફત નોતરી હતી, જેમાંથી ફાયર બ્રિગેડના જવાનો દેવદૂત બનીને આવ્યા હતા. પૂજા-પાઠની સામગ્રી કેનાલમાં પધરાવતી વખતે પરિવારના સભ્યોથી ભૂલથી રૂપિયા 2 લાખની રોકડ પણ કેનાલના વહેતા પાણીમાં પધરાવી દેવામાં આવી હતી.
કેનાલમાં દિલધડક શોધખોળ
જ્યારે પરિવારને જાણ થઈ કે પૂજાના સામાન સાથે રોકડ ભરેલી થેલી પણ પધરાવી દેવાઈ છે, ત્યારે તેમના હોશ ઊડી ગયા હતા. તેમણે તાત્કાલિક સુરત ફાયર વિભાગની મદદ માંગી હતી. ફાયરના જવાનોએ સમય સૂચકતા વાપરી કેનાલના પાણીમાં ઉતરીને તપાસ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ જવાનોને કેનાલના તળિયેથી 500-500 રૂપિયાની નોટના 4 બંડલ (કુલ 2 લાખ રોકડ) મળી આવ્યા હતા. જવાનોએ આ પૂરેપૂરી રકમ શોધી કાઢી પરિવારને સલામત રીતે સુપરત કરી હતી.













