સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા મકાઈપુલ નીચે મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ હતી. અહીં ભરાતી રવિવારી બજારના વેપારીઓ દ્વારા રાખવામાં આવેલા લાકડાના ફર્નિચર અને સોફાના જથ્થામાં આગ લાગતા જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. નદી કિનારે લાગેલી આ આગને કારણે આસપાસના રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.


મકાઈપુલ નીચે રવિવારી બજારના સામાનમાં આગ

ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની મુગલીસરા અને મજુરાગેટ સ્ટેશનની કુલ 4 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આગની તીવ્રતા વધુ હોવાથી ફાયરના જવાનોએ ચારેતરફથી પાણીનો મારો ચલાવ્યો હતો. અંદાજે અઢી કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો.

રવિવારી બજારનું ફર્નિચર બળીને ખાખ

આ દુર્ઘટનામાં રવિવારી બજારનો મોટો સામાન બળીને ખાખ થઈ ગયો છે, જોકે સદનસીબે રાત્રિનો સમય હોવાથી કોઈ જાનહાનિના સમાચાર નથી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણસર આગ લાગી હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Himatnagar: સિવિલ ચોકડી પાસે કારમાં ભીષણ આગ, એક તરફનો હાઈવે બંધ કરાયો


  • Follow us on: