સુરતમાં શ્રમિકોની હાલત કફોડી બની રહી હોય તેવું દ્રશ્ય ઉધના રેલ્વે સ્ટેશન પર જોવા મળી રહ્યું છે. ગતરોજ હજારોની મેદની ઉમટી પડ્યા બાદ આજે ઉધના રેલ્વે સ્ટેશન પર ભીડમાં ઘટાડો જોવા મળ્યો છે અને સ્થિતિ સામાન્ય જણાતી હતી. જોકે, વતન તરફ રવાના થઈ રહેલા શ્રમિકોમાં સરકાર અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
"હવે સુરત નહીં આવીએ" – શ્રમિકોની વેદના
વતન જઈ રહેલા શ્રમિકોએ મીડિયા સમક્ષ પોતાનો ઉભરો ઠાલવતા જણાવ્યું હતું કે, સુરતમાં હવે રહેવું મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને ગેસની અછતને કારણે ભારે મુશ્કેલી પડી રહી છે. શ્રમિકોનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. બજારમાં જે વ્યવસ્થા છે તે 'બ્લેક'માં છે, મધ્યમ અને ગરીબ વર્ગના લોકોએ ક્યાં જવું તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. અનેક મુસાફરોએ નિરાશા સાથે જણાવ્યું હતું કે, હવે તેઓ ક્યારેય સુરત કમાવવા માટે પાછા નહીં આવે.










