સુરતના વ્યસ્ત એવા સહારા દરવાજા વિસ્તારમાં રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ પર આજે બપોરે BRTS બસનો ગંભીર અકસ્માત સર્જાતા ખળભળાટ મચી ગયો હતો. સદભાગ્યે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, અને એક મોટો અકસ્માત થતા ટળી ગયો હતો.


સુરતના સહારા દરવાજા બ્રિજ પર અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર, BRTS બસ રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ પરથી નીચે સહારા દરવાજા તરફ ઉતરી રહી હતી. તે જ સમયે ડ્રાઈવરે કોઈક કારણોસર બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો, અને બસ ધડાકાભેર બ્રિજની રેલિંગ સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બ્રિજની લોખંડની રેલિંગનો કેટલોક ભાગ તૂટીને ક્ષતિગ્રસ્ત થયો હતો. અકસ્માતની તીવ્રતા જોતા, બસ રેલિંગ તોડીને બ્રિજ પરથી નીચે પણ પડી શકી હોત, જે એક મોટી જાનહાનિનું કારણ બની શકી હોત. જોકે, સમયસર બસ થંભી જતા અને રેલિંગના સહારે બસ અટકી જતા એક મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી. અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

બસ અથડાતા રેલિંગનો કેટલોક ભાગ તૂટ્યો

સદભાગ્યે, બસમાં સવાર મુસાફરો કે અન્ય કોઈ વ્યક્તિને આ ઘટનામાં ઈજા થઈ હોવાના અહેવાલ નથી. જોકે, અકસ્માતને કારણે સહારા દરવાજા વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી અને ટ્રાફિક પુનઃ પૂર્વવત કરાવ્યો હતો.આ ઘટનાએ ફરી એકવાર બ્રિજ પર વાહનો ચલાવતી વખતે સાવધાની રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તંત્ર દ્વારા તૂટેલી રેલિંગનું સમારકામ ઝડપથી હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:  જૂનાગઢમાં જાહેર પ્લોટ પર પાણીની ટાંકી બનાવતા સ્થાનિકોમાં રોષ, સ્થાનિકોનો આક્ષેપ, અમારી કોઈ મંજૂરી લેવામાં આવી નથી

  • Follow us on: