સુરત શહેરમાં દિવસેને દિવસે વધી રહેલા હત્યાના બનાવોમાં પોલીસનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરની આવિર્ભાવ સોસાયટી ખાતે જૂના ઝઘડાની અદાવત રાખીને એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.


સુરતમાં જૂની અદાવતમાં હત્યા

આવર્ભાવ સોસાયટીમાં રહેતા 32 વર્ષીય સુભાષ લાંડગે નામના મહારાષ્ટ્રીયન યુવકની બે દિવસ પૂર્વે હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હત્યા પાછળનું મુખ્ય કારણ મૃતક સુભાષ લાંડગે અને આરોપીઓ વચ્ચેનો જૂનો ઝઘડો અને અદાવત હતી. હત્યા પહેલા મૃતક અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ મારામારી પણ થઈ હતી. તેના થોડા કલાકો બાદ આરોપીઓએ મૃતક સુભાષ લાંડગેના દાઢી, છાતી, પીઠ તથા ડાબા હાથના ભાગે છરાના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી.

 ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા

પાંડેસરા પોલીસે હત્યાના આ ગંભીર ગુનાને ધ્યાને લઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓ ધીરજ ઉપાધ્યાય અને અક્ષય કામતને ઝડપી પાડ્યા હતા.પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓ અગાઉ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે અને તેઓ ગાંજાનો ધંધો પણ કરતા હોવાનું બહાર આવ્યું છે. વધુમાં, મૃતક સુભાષ લાંડગે પણ અગાઉ મોબાઇલ ચોરીના કેસમાં પકડાયો હતો તેવી વાત સામે આવી છે, જોકે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. હાલ પાંડેસરા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો : કે. પટેલ માઇક્રો ફાઇનાન્સ કૌભાંડનો વોન્ટેડ સૂત્રધાર સાધુના વેશમાં ઝડપાયો, 84 લાખની છેતરપિંડી!


  • Follow us on: