શહેરના જાણીતા બિલ્ડર અને રુંગટા ગ્રુપના અનિલ રુંગટા સાથે રૂપિયા 1.26 કરોડની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. પલસાણા તાલુકાના ઈટાળવા ગામની જમીનના સોદામાં ખેડૂત અને જમીન દલાલોએ ભેગા મળીને આ આખી છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે.
ખેડૂત અને જમીન દલાલોએ મળીને છેતરપિંડી કરી
મળતી માહિતી મુજબ, બિલ્ડર અનિલ રુંગટાને પલસાણાના ઈટાળવા ગામમાં જમીન ખરીદવામાં રસ હતો. આ દરમિયાન જમીન દલાલો અને સ્થાનિક ખેડૂતે વિશ્વાસમાં લઈ જમીન અપાવવાનું કહી સોદો નક્કી કર્યો હતો. આ પેટે બિલ્ડર પાસેથી અલગ-અલગ સમયે કુલ ₹1.26 કરોડ પડાવી લેવામાં આવ્યા હતા. જોકે, પેમેન્ટ મેળવ્યા બાદ જમીનનો કબજો કે દસ્તાવેજ કરી આપવામાં આરોપીઓ ઠાગાઠૈયા કરવા લાગ્યા હતા.










