સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં સામાન્ય ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બે જૂથો કે છોકરાઓ વચ્ચેના વિવાદમાં મધ્યસ્થી બનીને સમજાવવા ગયેલા 30 વર્ષીય યુવક મોહમ્મદ ફરીદની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ મામલે અમરોલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.


સમાધાન કરાવવા ગયેલા યુવકની હત્યા

કોસાડ આવાસમાં નજીવી બાબતે છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો વધુ ન વણસે તેવા ઉમદા હેતુથી મોહમ્મદ ફરીદ નામનો યુવક ત્યાં સમજાવવા અને સમાધાન કરાવવા માટે ગયો હતો. જોકે, ઉશ્કેરાયેલા શખ્સોએ સમાધાન કરવાને બદલે મોહમ્મદ ફરીદ પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું.

પરિવાર પર પણ કર્યો હુમલો

આરોપીઓની ક્રૂરતા એટલી હતી કે તેમણે માત્ર મોહમ્મદને જ નિશાન ન બનાવ્યો, પરંતુ વચ્ચે પડનારા તેના પિતા અને પરિવારના અન્ય સભ્યો પર પણ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં પરિવારના સભ્યોને પણ ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસની કડક કાર્યવાહી

ઘટનાની ગંભીરતાને જોતા અમરોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ટૂંકા ગાળામાં જ પોલીસે હત્યામાં સામેલ ૩ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: Surat: ઉધનામાં દંપતીની ચેન ખેંચી ફરાર થનાર સાહિલ શેખ ઝડપાયો, 10 ગુનાનો ભેદ ઉકેલાયો



  • Follow us on: