ભારતના ચૂંટણીપંચ દ્વારા હાલમાં સ્પેશિયલ સમરી રિવિઝન (SSR) હેઠળ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેરના વિવિધ બૂથો પર જઈને બૂથ લેવલ ઓફિસર (BLO) ની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ખાસ કરીને તેમના મત વિસ્તારમાં આવેલ દયાળજી કસનજી વિદ્યાલયમાં BLOની કામગીરીની સમીક્ષા કરી હતી અને તમામ BLO સાથે ચર્ચાઓ કરીને તેમનો આભાર માન્યો હતો.
BLOની કામગીરીનું DYCMએ નિરીક્ષણ કર્યું
આ નિરીક્ષણ બાદ મીડિયા સાથે વાત કરતાં DYCM હર્ષ સંઘવીએ BLOની નિષ્ઠા અને સમર્પણની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, “લોકશાહીના આ પર્વને મજબૂત બનાવવા માટે છેલ્લા 21 દિવસથી BLO પોતાની નિષ્ઠાપૂર્વક રાત-દિવસ કામગીરી નિભાવી રહ્યા છે. પોતાની નાની-મોટી તકલીફોને બાજુમાં મૂકીને તેઓ કાર્ય કરી રહ્યા છે.” તેમણે ઉમેર્યું કે, તેઓ તેમના મત વિસ્તારના લોકો વતી આ તમામ BLOનો આભાર માનવા માટે નીકળ્યા છે.










