સુરતની સિટી સરવે ઓફિસમાં ફરજ બજાવતા સુપ્રીટેન્ડેન્ટ એચ.આર. પટેલ વિરુદ્ધ વકીલોએ ગંભીર આક્ષેપો કરી ભારે હોબાળો મચાવ્યો છે. વકીલોના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ પોતાની કાયદેસરની રજૂઆતો લઈને અધિકારી પાસે ગયા હતા, ત્યારે એચ.આર. પટેલે તેમની સાથે અત્યંત ઉદ્ધત અને અશોભનીય વર્તન કર્યું હતું. વકીલોએ આક્ષેપ કર્યો છે કે સિટી સરવે કચેરીમાં સરકારી કર્મચારીઓ દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને જ્યારે કોઈ આ બાબતે અવાજ ઉઠાવે છે, ત્યારે તેમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ ઘટનાને પગલે વકીલોમાં ભારે રોષ ફેલાયો છે.


ભ્રષ્ટાચાર અને બદતમીઝીના આક્ષેપો

આ ગેરવર્તન અને ભ્રષ્ટાચારના વિરોધમાં મોટી સંખ્યામાં વકીલો સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લેખિતમાં રજૂઆત કરી હતી. વકીલોની મુખ્ય માંગ છે કે ગેરવર્તન કરનાર સુપ્રીટેન્ડેન્ટ એચ.આર. પટેલ સામે તાત્કાલિક કાયદેસરના પગલાં લેવામાં આવે અથવા તેમની બદલી કરવામાં આવે. વકીલોએ ચીમકી આપી છે કે જો સરકારી કચેરીઓમાં વકીલો સાથે પણ આવું વર્તન થતું હોય, તો સામાન્ય જનતાની સ્થિતિ કેવી હશે તે કલ્પના કરવી મુશ્કેલ છે. આ મામલે તપાસ કરી ન્યાય અપાવવા માટે વકીલ મંડળ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Dahod માં ફૂડ લવર્સ માટે ચેતવણી, જાણીતી બ્રાન્ડ 'લાપિનોઝ'ના પિઝામાંથી નીકળી જીવતી ઈયળ

  • Follow us on: