સુરત જિલ્લાના મહુવા તાલુકાના ભોરીયા ગામના સીમ વિસ્તારમાં ગત રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. વલવાડાથી ભોરીયા તરફ જતા રોડ પર એક પટેલ પરિવાર પોતાના ખેતરેથી કામ પતાવી મોટર સાયકલ પર સવાર થઈ પરત ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી એક અર્ટિગા ફોરવીલ કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં માતમ
આ દુર્ઘટનામાં ભોરીયા ગામના રહેવાસી આશિષભાઈ પટેલ, તેમના પત્ની પારૂલબેન અને પરિવારના અન્ય સભ્ય ઉષાબેન પટેલનું અવસાન થયું છે. એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યોના અકાળે મોત થતા ભોરીયા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અકસ્માતમાં 7 વર્ષનો માસૂમ બાળક વેદ આશિષભાઈ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.













