સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી ડિસ્પોઝલ સાઈટ પર લાગેલી ભીષણ આગને પગલે આસપાસના રહીશોની હાલત કફોડી થઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી લાગેલી આગ હવે ધીમી તો પડી છે, પરંતુ તે વારંવાર ભભૂકી ઉઠતી હોવાથી તંત્ર માટે તે માથાના દુખાવા સમાન બની ગઈ છે.

ખજોદ વિસ્તારમાં ધુમાડાથી લોકોની હાલત બેહાલ

આગના કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ઘટ્ટ ગોટા છવાઈ ગયા છે, જેના લીધે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યા છતાં, કચરાના ઢગલામાં લાગેલી આગ અંદરખાને સળગતી હોવાથી ધુમાડો શમવાનું નામ નથી લઈ રહ્યો.

માટી નાખી આગને 'સીલ' કરવાનો પ્રયાસ

આગ વારંવાર ભભૂકી ન ઉઠે અને ધુમાડા પર કાબૂ મેળવી શકાય તે માટે સુરત મહાનગરપાલિકાએ હવે નવી વ્યૂહરચના અપનાવી છે. પાલિકા દ્વારા જે વિસ્તારોમાં આગ ઓલવાઈ ગઈ છે ત્યાં હવે 'માટી' નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. માટી નાખવાથી ઓક્સિજનનો પુરવઠો કટ થઈ જાય છે, જેથી આગ ફરીથી સળગતી નથી અને ધુમાડો પણ બહાર આવતો અટકે છે. હાલમાં યુદ્ધના ધોરણે જેસીબી અને ડમ્પરોની મદદથી માટીકામ જારી છે જેથી શહેરના વાતાવરણને પ્રદૂષણથી મુક્ત કરી શકાય.

આ પણ વાંચો: Vadodara: પૂર્વ ક્રિકેટર રિશી આરોઠેની ધરપકડ, મુંબઈની વૃદ્ધાને 'ડિજિટલ એરેસ્ટ' કરી 32 લાખ પડાવ્યાનો આરોપ