સુરતના વરાછા સ્થિત ખાંડ બજાર વિસ્તારમાં આવેલી રતીહ જ્વેલર્સમાં બનેલી ગેસ ગૂંગળામણની ઘટનાએ સુરત શહેરને હચમચાવી દીધું છે. ETP ટેન્કની સફાઈ કરવા ઉતરેલા ૪ શ્રમિકોના ઝેરી ગેસના કારણે કરૂણ મોત નીપજ્યા બાદ અપેક્ષા હતી કે પોલીસ અને વહીવટી તંત્ર કડક હાથે કામ લેશે. પરંતુ, આ ઘટનાના ૨૪ કલાક બાદ પણ સુરત પોલીસની જે કામગીરી સામે આવી છે, તેનાથી મૃતકોના પરિવારો અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે આટલી મોટી બેદરકારી સામે માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધીને સંતોષ માની લીધો છે.


ગંભીર કલમો લગાવવામાં પોલીસ પાછીપાની કેમ કરે છે?

સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે ફેક્ટરી કે પેઢીમાં સેફ્ટીના સાધનો વગર મજૂરોને મોતના મોંમાં ધકેલી દેવાયા, છતાં પોલીસ દ્વારા આ ગુનામાં કોઈ ગંભીર કલમો (જેવી કે આઇપીસી/બીએનએસ હેઠળ સાપરાધ મનુષ્યવધ કે બેદરકારીથી મોત) કેમ લગાવાઈ નથી? અત્યાર સુધી કંપનીના માલિક વિરૂદ્ધ પણ કોઈ કાયદેસરની કડક ફરિયાદ નોંધવામાં આવી નથી. સામાન્ય રીતે આવી ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં માલિકો સામે તાત્કાલિક પગલાં લેવાતા હોય છે, ત્યારે આ કેસમાં પોલીસની ઢીલી નીતિ શંકાના દાયરામાં છે.

કોન્ટ્રાક્ટર પણ પોલીસ રડારથી બહાર

ઘટનાને પગલે એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે રતીહ જ્વેલર્સની અંદર આ ૪ મજૂરોને કામ પર રાખનાર મુખ્ય કોન્ટ્રાક્ટર કોણ હતો? શું કંપની પાસે પોતાના જ પ્લાન્ટમાં કામ કરતા શ્રમિકોના કોન્ટ્રાક્ટરનો કોઈ સંપર્ક કે રેકોર્ડ નહીં હોય? પોલીસે હજુ સુધી એ દિશામાં પણ તપાસ લંબાવી નથી કે કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થશે કે કેમ.

પોલીસની ઢીલી નીતિ શંકાના દાયરામાં

ગઈકાલે એફ.એસ.એલ. (FSL) ની ટીમ ઘટનાસ્થળે આવી, સેમ્પલિંગની વિધિ પતાવીને જતી રહી. તે જ રીતે સુરતના મેયર માયાબેન માવાણી પણ ઘટનાસ્થળે આવ્યા, અધિકારીઓ સાથે વાતચીત કરી, નિરીક્ષણ કર્યું અને મીડિયાને બાઈટ આપીને રવાના થઈ ગયા. પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર હજુ પણ ન્યાયની પ્રક્રિયા શૂન્ય દેખાઈ રહી છે. પ્રજા પૂછી રહી છે કે શું આ ગરીબ શ્રમિકોના મોતના ગુનેગારો સામે ક્યારેય પાકા પગલાં લેવાશે, કે પછી આ મામલાને પણ અકસ્માત ખપાવીને દબાવી દેવામાં આવશે?

આ પણ વાંચો: Jasdan: : બાઈક-ઈકો વચ્ચેની જોરદાર ટક્કરમાં પોલીસકર્મીનું મોત, મૃતદેહ પીએમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડાયો

  • Follow us on: