કહેવાય છે કે 'જેનું કોઈ નથી તેનો ભગવાન હોય છે', આ ઉક્તિ સુરતના પાંડેસરામાં અક્ષરશઃ સાચી સાબિત થઈ છે. કોઈ અજ્ઞાત નિર્દયી માતા-પિતા દ્વારા પાંડેસરા વિસ્તારમાં એક નવજાત બાળકીને રસ્તા પર લાવારીસ હાલતમાં છોડી દેવામાં આવી હતી. આ બાળકી જ્યારે પાંડેસરા પોલીસને મળી ત્યારે કદાચ કોઈએ વિચાર્યું નહીં હોય કે આ માસૂમનું નસીબ આટલું બલંદ હશે. પાંડેસરા પોલીસે માનવતાની તમામ સીમાઓ વટાવીને આ બાળકીને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી દત્તક લેવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.
પોલીસ મથકમાં યોજાયો છઠ્ઠીનો મંગળ પ્રસંગ
સામાન્ય રીતે જ્યાં ગુનેગારો અને ફરિયાદીઓની અવરજવર હોય છે તેવા પોલીસ સ્ટેશનનું વાતાવરણ ગત રોજ ઉત્સવમાં ફેરવાઈ ગયું હતું. પાંડેસરા પોલીસ પરિવારના તમામ અધિકારીઓ અને મહિલા કર્મચારીઓએ ભેગા મળીને આ નવજાત દીકરીના જન્મના છઠ્ઠા દિવસે પરંપરાગત રીતે 'છઠ્ઠી પૂજન'નો ભવ્ય કાર્યક્રમ રાખ્યો હતો. પોલીસ સ્ટેશનને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને મીઠાઈઓ વહેંચાઈ હતી. સમગ્ર સ્ટાફે આ દીકરીને પોતાની ગણીને તેનું નામ ખૂબ જ પ્રેમપૂર્વક 'કશિશ' રાખ્યું છે. બાળકી કશિશને જે પ્રકારે ખાખી વર્દીનો આશરો અને પ્રેમ મળ્યો છે તે જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.










