સુરત શહેરમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે ન્યાયતંત્રએ લાલ આંખ કરી છે. કતારગામ વિસ્તારમાં આવેલી જાણીતી 'પટલ ડેરી'ના માલિકને ઘીમાં ભેળસેળ કરવાના ગુનામાં સુરત કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી છે. આ ચુકાદો સમાજમાં ભેળસેળ કરતા વેપારીઓ માટે એક કડક ચેતવણી સમાન માનવામાં આવે છે.

ઘીમાં ભેળસેળ કરનારને એક વર્ષની જેલની સજા

ઘટનાની વિગત મુજબ, વર્ષ 2011માં સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટરે કતારગામ સ્થિત પટેલ ડેરીમાં ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન ડેરીમાંથી અંદાજે 7 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. લેબોરેટરી ટેસ્ટમાં આ ઘી ડુપ્લીકેટ અને અખાદ્ય હોવાનું સાબિત થયું હતું, જે બાદ ડેરી માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

કોર્ટનો ચુકાદો

લાંબી કાનૂની લડત બાદ, સુરત કોર્ટે ડેરી માલિક અરવિંદ તાળાને તકસીરવાન ઠેરવી એક વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે આરોપીને રૂપિયા 10,000 નો દંડ પણ કર્યો છે. જો દંડ ન ભરે તો વધુ સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: CBI ડાયરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ 1 વર્ષ માટે સરકારે વધાર્યો