સુરતમાં લોકોને આરોગ્ય માટે અત્યંત જોખમી અને નકલી ખાદ્યપદાર્થો ખવડાવવાનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. શહેરની જાણીતી સુરભી ડેરીનું પનીર નકલી હોવાનું સરકારી રિપોર્ટમાં સત્તાવાર રીતે જાહેર થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
નકલી પનીર, અસલી પનીર કહીને વેંચાણ
રિપોર્ટમાં સુરભી ડેરીનું પનીર નકલી હોવાનું ખુલતા, પોલીસે સુરભી ડેરીના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ અને નકલી પનીરને અસલી પનીર કહીને વેંચીને છેતરપિંડી કરવાના ગુના હેઠળ ડેરીના એક સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી છે. આ કેસમાં સુરભી ડેરીના અન્ય એક માલિક અને સંચાલક કૌશિક પટેલને ગુનાની ગંધ આવી જતાં તે પોલીસ પકડથી બચવા માટે ફરાર થવામાં સફળ રહ્યો છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે.










