સુરત શહેરના હજીરા વિસ્તારમાં આવેલા જુનાગામના ડેરી ફળીયામાં એક સનસનીખેજ હત્યાનો મામલો સામે આવ્યો છે. સામાન્ય ગણાતી જમવાની બાબતમાં થયેલા ઝઘડાએ લોહીયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હજીરા પોલીસે આ મામલે સઘન તપાસ કરી હત્યા કરી ફરાર થઈ ગયેલા બે શખ્સોને પંજાબથી દબોચી લીધા છે.


સામાન્ય બાબતે ઝઘડો હત્યામાં પરિણમ્યો

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક શેરાસિંગ હરભજન સિંગ અને પકડાયેલા બંને આરોપીઓ પંજાબથી રોજગારી માટે સુરત આવ્યા હતા. તેઓ હજીરાની એક ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા અને મેહુલકુમાર પટેલના મકાનમાં ભાડેથી સાથે રહેતા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ મિત્રો વચ્ચે અવારનવાર નાની-નાની વાતોમાં ઝઘડા થતા હતા. ગત 17 જાન્યુઆરી 2026 ના રોજ સાંજે જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે ઝઘડો ઉગ્ર બન્યો હતો, જે અંતે હત્યામાં પરિણમ્યો હતો.

ઢોર માર મારી દીવાલ સાથે પછાડ્યો 

ઘટનાની વિગતો મુજબ, આરોપીઓએ શેરાસિંગ પર તીક્ષ્ણ હથિયારથી ગળા અને માથાના ભાગે અનેક ઘા ઝીંક્યા હતા. આટલું જ નહીં, તેને ઢોર માર મારી દીવાલ સાથે પછાડ્યો હતો. મકાન માલિક મેહુલકુમારે જ્યારે રૂમમાં શેરાસિંગને લોહીલુહાણ હાલતમાં પડેલો જોયો ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે શેરાસિંગનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

પોલીસની પંજાબમાં કાર્યવાહી

હત્યા બાદ બંને આરોપીઓ સુરત છોડીને ભાગી ગયા હતા. હજીરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પંજાબમાં દરોડો પાડી  સરબજીત સીંગ કુલવંત સિંગ, અમરીક સિંગ સુબેક સિંગ બે આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: જિલ્લા પંચાયતના સદસ્યની આત્મવિલોપનની ચીમકી, ગેરકાયદે દબાણો હટાવવા તંત્ર સામે મોરચો માંડ્યો

  • Follow us on: