કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની નિકાસ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને કારણે દક્ષિણ ગુજરાતના લાખો ખેડૂતો અને સુગર મિલોની આર્થિક સ્થિતિ કથળવાની ભીતિ સેવાઈ રહી છે. સાયણ સુગર મિલના ડિરેક્ટર દર્શન નાયકે ખેડૂતોની વેદના વાચા આપતા સરકારને આ નિર્ણયની સમીક્ષા કરવા અને ખેડૂતોને પૂરતું વળતર મળે તેવા પગલાં લેવા રજૂઆત કરી છે.

ઉત્પાદન ખર્ચમાં તોતિંગ વધારો

દર્શન નાયકે જણાવ્યું હતું કે, હાલમાં બિયારણ, ખાતર અને ડીઝલના ભાવમાં મોટો વધારો થયો છે, જેના કારણે શેરડીનો ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે. બીજી તરફ, શેરડીનું ઉત્પાદન પણ ઘટી રહ્યું છે. આવા સમયે જો સરકાર ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકે, તો સહકારી સંસ્થાઓમાં ખાંડનો ભરાવો થશે અને સંસ્થાઓ પર વ્યાજનું ભારણ વધશે, જેનો સીધો ફટકો ખેડૂતોને મળતા ભાવ પર પડશે.

MSP વધારવાની પ્રબળ માગ

સરકાર સામે માંગણી મૂકતા તેમણે કહ્યું કે, જો સરકાર ખાંડની નિકાસ અટકાવવા માંગતી હોય તો ખાંડની લઘુત્તમ ટેકાના ભાવ (MSP) જે હાલ 31 રૂપિયા છે, તેને વધારીને 40 રૂપિયા કરવામાં આવે. જો MSPમાં વધારો થાય તો જ ખેડૂતોને ઉત્પાદન ખર્ચ સામે થોડી રાહત મળી શકે તેમ છે.

ડીઝલ અને ખેતી સામગ્રીમાં રાહતની જરૂર

તેમણે વધુમાં ઉમેર્યું કે ખેડૂતોના હિતમાં સરકારે ખેતીમાં વપરાતા ડીઝલ, ખાતર અને બિયારણના ભાવમાં તાત્કાલિક ઘટાડો કરવો જોઈએ. નિકાસ પ્રતિબંધનો આ નિર્ણય ખેડૂતો માટે 'માર' સમાન છે અને તે લાખો પરિવારોની આજીવિકાને અસર કરશે.

આ પણ વાંચો: Surat: કુબેરજી માર્કેટમાં ઠગાઈનો મોટો ખેલ, હૈદરાબાદના ઠગોએ 1.82 કરોડનું કાપડ ઓળવી વેપારીઓને રોવડાવ્યા