સુરતમાં ડીમોનેટાઇઝેશનના સમયગાળામાં રદ થયેલી નોટોને બેંકિંગ સિસ્ટમમાં ગેરકાયદેસર રીતે જમા કરાવવાના કેસમાં ફરી એક વખત મોટો ખુલાસો થયો છે. મહર્ષિ સંજય ચોક્કાસ અને અન્ય કેટલાક સંડોવાયેલા વ્યક્તિઓ સામે નાણાં ધોવણ પ્રતિબંધક કાયદા (PMLA) હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી છે.


 મોટી માત્રામાં રદ નોટો બેંકિંગ સિસ્ટમમાં ચેનલાઇઝ કરવાનો પ્રયાસ કર્યો

EDની તપાસ મુજબ મહર્ષિ સંજય ચોક્કાસ સહિતના આરોપીઓએ મોટી માત્રામાં રદ નોટો બેંકિંગ સિસ્ટમમાં ચેનલાઇઝ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કામગીરીને અંજામ આપવા માટે KYC વિના ખોલાયેલા “S.R. ટ્રેડર્સ” નામના ફ્રોડ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો.

ફ્રોડ એકાઉન્ટમાં કરોડોની નોટો જમા

CBI દ્વારા અગાઉ નોંધાયેલા ગુનામાં ખુલ્યું હતું કે આ ફ્રોડ એકાઉન્ટમાં કુલ 36.17 કરોડ રૂપિયાની રકમ જમા કરાઈ હતી, જેમાંથી 24.35 કરોડ રૂપિયા ડીમોનેટાઇઝ્ડ (રદ) નોટોના સ્વરૂપમાં હતાં. આ નોટો વિવિધ સ્ત્રોતોથી એકત્રિત કરીને બેંકમાં જમા કરાવવામાં આવી હતી.

જમા નાણાથી સોનું-ચાંદીની ખરીદી

EDની તપાસમાં વધુ જાણવા મળ્યું કે બેંકમાં જમા કરાયેલા આ નાણાનો ઉપયોગ પાછળથી સોનું અને ચાંદી ખરીદવામાં થયો હતો. આ વ્યવહાર મની લોન્ડરિંગની વ્યૂહરચનાનો ભાગ હોવાનું આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

મિલ્કત જપ્ત કરવાની કાર્યવાહી

આ કેસમાં અગાઉ પણ ED દ્વારા સખત પગલાં લેવામાં આવ્યા હતાં. તપાસ દરમિયાન સંડોવાયેલા આરોપીઓની રૂ. 2.6 કરોડની મિલ્કત જપ્ત કરવામાં આવી હતી. હવે પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ થતાં કેસ વધુ ગતિશીલ બન્યો છે અને આગળ વધુ ધરપકડો અથવા કાર્યવાહી થઈ શકે છે.


આ પણ વાંચો----  SIR ઝુંબેશના ગણતરીના તબક્કામાં 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે, 17 જિલ્લાઓમાં 100% કામગીરી


  • Follow us on: