સુરતમાં રખડતા શ્વાનનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે હવે માસૂમ બાળકો અને સ્થાનિક રહીશોનું જીવવું દુષ્કર બની ગયું છે. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા ખાનપુરામાંથી રખડતા શ્વાનોના આતંકની એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અહીં રખડતા શ્વાનના એક આખા ટોળાએ ઘર પાસે રમી રહેલા એક માસૂમ બાળક પર અચાનક હુમલો કરી તેને ગંભીર રીતે બચકું ભરી લીધું હતું. આ ભયાનક હુમલાના લાઈવ દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે, જેને જોઈને કોઈપણ ધ્રૂજી ઊઠે તેમ છે.

વાલીઓ પણ ડરી રહ્યા છે

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, લિંબાયતના ખાનપુરા વિસ્તારમાં રખડતા શ્વાનોની સંખ્યા એટલી હદે વધી ગઈ છે કે હવે બાળકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. વાલીઓ પોતાના બાળકોને શેરીમાં એકલા રમવા મોકલતા પણ ડરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.

તંત્ર દ્વારા કોઇ કામગિરી ના કરાઇ

સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે, સુરત મહાનગરપાલિકામાં આ અંગે અગાઉ પણ અનેક વખત લેખિત અને મૌખિક ફરિયાદો કરવામાં આવી છે. જો કે, તંત્ર દ્વારા હજુ સુધી રખડતા શ્વાનોને પકડવા માટે કોઈ નક્કર કે સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી. મહાનગરપાલિકાની આ ઘોર બેદરકારીને કારણે આજે એક માસૂમ બાળક ભોગ બન્યું છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા વહેલી તકે આ શ્વાનનો ત્રાસ દૂર કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.


આ પણ વાંચો----    Gandhinagar: ખેડૂતો માટે ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, સનેડોની ખરીદી પર મળતી સહાયમાં કર્યો ધરખમ વધારો