સુરતના સણીયા કણદે સ્થિત સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મળી આવેલા બે યુવતીઓના મૃતદેહના કેસમાં શહેર પોલીસ એસીપી એન.પી. ગોહિલે મહત્વનું નિવેદન આપ્યું છે. મૃતક વિદ્યાર્થિનીઓની ઓળખ 18 વર્ષીય રોશની શરદ શીરસાઠ (ઉધના સિટીઝન કોલેજ) અને 20 વર્ષીય જોસના ચૌધરી (વાડિયા વુમન્સ કોલેજ) તરીકે થઈ છે. પોલીસ તપાસમાં આત્મહત્યા પાછળના ડિજિટલ પુરાવાઓ સામે આવ્યા છે.


મૃતદેહ પાસેથી એનેસ્થેસિયાની બોટલો મળી

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બંને વિદ્યાર્થિનીઓએ આત્મહત્યા કરતા પહેલા તેમના મોબાઈલ ફોનમાં 'આત્મહત્યા કઈ રીતે કરવી' તે અંગે સર્ચ કર્યું હતું. આ સિવાય ચેટ જીપીટી (ChatGPT) પર પણ આપઘાત કરવાના રસ્તાઓ શોધ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘટનાસ્થળેથી પોલીસને એનેસ્થેસિયાની બોટલો મળી આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ રહ્યું છે કે બંનેએ એનેસ્થેસિયાના ઇન્જેક્શન લઈને આ અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે બંનેના મોબાઈલ ફોન કબજે કરી ઊંડાણપૂર્વકની તપાસ માટે FSL (Forensic Science Laboratory) માં મોકલી આપ્યા છે.

ડીંડોલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

ડીંડોલી પોલીસે હાલ આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ પીએમ (Post Mortem) કરવામાં આવ્યું છે અને મેડિકલ ઓફિસરના આખરી અભિપ્રાયની રાહ જોવાઈ રહી છે. પોલીસે મૃતકના પરિવારજનો, કોલેજના મિત્રો અને નજીકના સંબંધીઓના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી છે જેથી આત્મહત્યા પાછળના સાચા કારણો (પારિવારિક પ્રશ્ન, અભ્યાસનું ભારણ કે અન્ય કોઈ કારણ) જાણી શકાય. આ ઘટનાએ શૈક્ષણિક જગત અને વાલીઓમાં ભારે ચિંતા પ્રસરાવી છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: