ટેક્સટાઇલ સિટી સુરતમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શહેરના પુણા વિસ્તારમાં એક યુવા સાડીના વેપારીએ આર્થિક તંગીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. માત્ર 32 વર્ષની નાની ઉંમરે વેપારીએ આવું આત્યંતિક પગલું ભરતાં સમગ્ર ટેક્સટાઇલ માર્કેટ અને સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

દુકાનની અંદર ઝેરી દવા ગટગટાવી

મળતી માહિતી મુજબ, પુણા વિસ્તારમાં સાડીનો વેપાર કરતા 32 વર્ષીય બાલુભાઈ મકવાણાએ પોતાની જ દુકાનની અંદર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ભરબપોરે વેપારીએ પોતાની જ દુકાનમાં જીવનલીલા સંકેલી લેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આર્થિક સ્થિતિ નબળી થતા પગલુ ભર્યાનુ અનુમાન

પ્રાથમિક અનુમાન અને સ્થાનિક ચર્ચાઓ મુજબ, છેલ્લા કેટલાક સમયથી બજારની સ્થિતિ અને વેપારમાં ચાલી રહેલી આર્થિક મંદીના કારણે બાલુભાઈ ભારે માનસિક તણાવમાં હતા. આર્થિક સ્થિતિ વધુ પડતી નબળી થઈ જતાં વ્યાપારિક દેવું અથવા ઘર ચલાવવાની ચિંતામાં તેમણે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પોલીસ તપાસ શરુ

ઘટનાની માહિતી મળતા જ પુણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પુણા પોલીસે હાલ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી, વેપારીના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો----     West Bengal : મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીનો આદેશ, ગેરકાયદે બાંગ્લાદેશીઓને કોર્ટ નહીં, સીધા બીસીએફને આપી દો