પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યમાં ઘૂસણખોરી રોકવા માટે એક બહુ મોટો અને કડક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે હવેથી રાજ્યમાં જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશી પ્રવાસી પકડાશે, તો તેને કોર્ટમાં રજૂ કરવાની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. પોલીસ અને રેલવે સુરક્ષા દળ તેને સીધા બોર્ડર પર સીમા સુરક્ષા દળ BSFને સોંપી દેશે, જેથી તેને તાત્કાલિક બાંગ્લાદેશ પરત મોકલી શકાય. આ નવો આદેશ 20 મેથી જ સમગ્ર બંગાળમાં લાગુ કરી દેવામાં આવ્યો છે.

પહેલાં જમાડવામાં આવશે, પછી સીધા બોર્ડર પાર

હાવડા ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ અને RPFને આ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે. જો હાવડા સ્ટેશન કે રાજ્યના કોઈપણ ખૂણે કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિક પકડાશે અને જો તે CAA નાગરિકતા સંશોધન અધિનિયમ) હેઠળ ભારતીય નાગરિકતા મેળવવા માટે હકદાર નહીં હોય, તો તેને કોર્ટમાં લઈ જઈને સમય બગાડવામાં નહીં આવે. માનવતાના ધોરણે તેને પહેલાં બરાબર જમાડવામાં આવશે અને ત્યારબાદ સીધા ઉત્તર 24 પરગણા જિલ્લાના બશીરહાટ બોર્ડર અથવા પેટ્રાપોલ બોર્ડર પર લઈ જઈને BSFને સોંપી દેવાશે, જ્યાંથી BSF તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરશે. આ ઉપરાંત, દર અઠવાડિયે આવા પકડાયેલા લોકોનો રિપોર્ટ ડીજીપીમારફતે સીધો મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ને મોકલવાનો રહેશે.

નવા કાયદા અને કેન્દ્રના આદેશ હેઠળ લેવાયો નિર્ણય

મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, સીએએ (CAA) કાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ધાર્મિક સતામણીના કારણે ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે છે. જે પ્રવાસીઓ આ દાયરામાં નથી આવતા, તેમની સામે જ આ કડક એક્શન લેવાશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI)ના અહેવાલ મુજબ, આ નિર્ણય સંસદ દ્વારા પાસ કરાયેલા 'પ્રવાસન અને વિદેશીઓ અધિનિયમ, ૨૦૨૫' હેઠળ લેવાયો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ૧૪ મેના રોજ મોકલવામાં આવેલા આદેશના પાલન સ્વરૂપે બંગાળ સરકારે આ કડક વલણ અપનાવ્યું છે.

વર્ષો જૂની લાંબી કાનૂની પ્રક્રિયાનો અંત

અત્યાર સુધીના નિયમ પ્રમાણે, જો કોઈ વિદેશી નાગરિક માન્ય દસ્તાવેજો વગર પકડાતો, તો તેની વિદેશી અધિનિયમ, ૧૯૪૬ની ધારા 14(A) હેઠળ ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવો પડતો હતો. કોર્ટ તે ગેરકાયદેસર છે કે નહીં તે નક્કી કરતી અને આ કાનૂની પ્રક્રિયા વર્ષો સુધી ખેંચાતી હતી. મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારીના આ નવા આદેશથી હવે કોર્ટની લાંબી રાહ જોવી નહીં પડે અને ઘૂસણખોરોને સીધા બોર્ડર ભેગા કરી દેવાશે.


આ પણ વાંચો----     Vadodara : MLA અક્ષય પટેલના પુત્ર રિશી પટેલ સહિત 5 સામે ગુનો દાખલ, ડીઝલ ચોરીના આક્ષેપ સાથે માર માર્યાનો આરોપ