સુરતના કડોદરા વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની જિગિષા ગાયકવાડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. નાયલોનની દોરીનો ઉપયોગ કરીને જિગિષાએ જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.


બે માસ અગાઉ જિગિષાએ માતાને કેટલીક ફરિયાદો કરી હતી

આપઘાત બાદ મૃતકના પિતાએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે. પિતાના જણાવ્યા મુજબ, જિગિષા આજે કોલેજ ગઇ જ ન હતી. પરિવારજનોએ જણાવ્યું કે બે માસ અગાઉ જિગિષાએ માતાને કેટલીક ફરિયાદો કરી હતી અને પોતાને તકલીફ થાય તેવી પરિસ્થિતિ બનતી હોવાની વાત પણ કરી હતી.

 જિગિષા પર કોઇ છોકરા સાથે મિત્રતા રાખવાનું દબાણ કરવામાં આવી રહ્યું હતું

મૃતકના પિતાએ આક્ષેપ કર્યો છે કે જિગિષા પર કોઇ છોકરા સાથે મિત્રતા રાખવાનું દબાણ કરવામાં આવી રહ્યું હતું. જિગિષાએ સ્પષ્ટપણે આ વાત અસ્વીકારી હતી અને ફ્રેન્ડશીપ કરવા માટે ના પાડી હતી, જેના કારણે તેના પર માનસિક દબાણ આવી રહ્યું હતું.

તું એ છોકરા જોડે સંબંધ નહીં રાખશે તો છોકરો મરી જશે

પિતાના આરોપ મુજબ કોલેજ ની અન્ય વિધાર્થિનીએ જિગીશાને કોઈ છોકરા જોડે સંબંધ રાખવાની વાત કરી હતી પરંતુ વિધાર્થિની જિગીશાએ એ કોઈ છોકરા જોડે સંબંધ રાખવાની ના પાડી હતી.અન્ય વિધાર્થિની એ જિગીષા ને કહ્યું હતું કે તું એ છોકરા જોડે સંબંધ નહીં રાખશે તો છોકરો મરી જશે એવી ધમકી પણ આપવામાં આવી હતી.

પોલીસે આ ઘટનાને ગંભીરતા પૂર્વક લઈને તપાસ શરૂ કરી

પોલીસે આ ઘટનાને ગંભીરતા પૂર્વક લઈને તપાસ શરૂ કરી છે. આપઘાતના સાચા કારણો અને જિગિષાએ આપેલી ફરિયાદોની પૃષ્ઠભૂમિ જાણવા માટે પોલીસ પરિવાર તથા કોલેજ સ્ટાફની પૂછપરછ કરી રહી છે.

  • Follow us on: