ગુજરાતમાં ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ધૂળેટી રમ્યા બાદ નદી કે તળાવમાં ન્હાવા પડ્યા બાદ ડૂબવાની ઘટનાઓમાં કૂલ 27 લોકોના મોત થયા હોવાના આંકડા સામે આવ્યાં છે. સુરતના તાપીમાં નદીમાં ન્હાવા પડેલા બે મિત્રો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

સુરતમાં તાપી નદીમાં બે યુવકો ડૂબ્યા

સુરતમાં સરથાણા વિસ્તારમાં ગઈકાલે સાંજે બે લોકો તાપી નદીમાં ન્હાવા માટે ગયા હતાં. આ બંને જણા નદીમાં દેખાતા નહીં હોવાથી તેમના મિત્રએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ કોલ મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી હતી. નદીમાં ડૂબેલા બંને યુવકોની શોધખોળ શરૂ કરી છે. આજે સવારથી પણ તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હજી સુધી આ બંને યુવકોનો કોઈ પત્તો લાગ્યો નથી.

ગત વર્ષ કરતાં આ વર્ષે ઈમરજન્સી કેસ વધ્યા

રાજ્યમાં જોઈએ તો સુરતના બારડોલી, માંગરોળ, અમદાવાદના માંડલ, મહીસાગર, અરવલ્લીના માલપુર, ધનસુરા અને મહેસાણામાં મોટી દાઉ, કડી, અમરેલીમાં ડૂબી જવાની ઘટનાઓ સામે આવી હતી. ધૂળેટીના દિવસે દિવસભર 108 એમ્બ્યુલન્સ દોડતી રહી હતી. ધૂળેટીની રાત્રે 9 વાગ્યા સુધી 4890 સુધી ઇમરજન્સી કેસ નોંધાયા હતાં. ગત વર્ષે 4002 કેસ નોંધાયા હતા આ વર્ષે 888 ઇમરજન્સી કેસમાં વધારો થયો હતો.


આ પણ વાંચોઃ Ahmedabad : રાજ્યભરમાં ધૂળેટી પર્વે માતમ, ડૂબી જવાથી 18થી વધુના મોત, રાત્રે 9 વાગ્યા સુધી 4890 ઇમરજન્સી કેસ નોંધાયા