સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રોગચાળો ફાટી નીકળ્યો છે. ખાસ કરીને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. રોગચાળાની ગંભીરતાને ધ્યાનમાં લેતા સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું છે.
લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો
શહેરમાં રોગચાળો કેટલો ઘાતક બન્યો છે તેનો પુરાવો ગત રોજ બનેલી એક હૃદયદ્રાવક ઘટના પરથી મળે છે. માત્ર 25 વર્ષીય એક મહિલાનું ટાઈફોઈડના કારણે મોત નીપજ્યું છે. અત્યંત દુઃખદ વાત એ છે કે આ મહિલાના ગત રોજ જ લગ્ન થયા હતા. લગ્ન કરીને સાસરે પહોંચેલી નવવધૂનું પ્રથમ દિવસે જ સારવાર દરમિયાન મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ જતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.










