અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર મુસાફરો ભરેલી એક ખાનગી બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક આવેલા મરઘીખડા ગામના બોર્ડ પાસે આ અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી બસમાં અચાનક આગ ફાટી નીકળતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, રાહતની વાત એ રહી કે, આગ લાગતા જ બસમાં સવાર તમામ 25 જેટલા મુસાફરો સમયસર બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો છે.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની આશંકા

પ્રાથમિક માહિતી અનુસાર, ચાલુ બસમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે, આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. હાઈવે પર બસમાંથી નીકળતા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા, જેના કારણે રોડ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો પણ થંભી ગયા હતા.

હાઈવે પર ટ્રાફિક જામ, ફાયર અને પોલીસની ટીમ દોડી આવી

હાઈવે પર બસમાં આગ લાગવાની આ ઘટનાને પગલે નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ ચોટીલા ફાયર ફાઈટરની ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે પોલીસે હાઈવે પરનો વાહનવ્યવહાર પૂર્વવત કરાવવા માટે કવાયત હાથ ધરીને અકસ્માત અંગે આગળની તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો - Surendranagarના લખતરમાં દુધરેજ-માલવણ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત