વઢવાણ તાલુકાના સાંકળી ગામે એક યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવાનના પરિવારે ગામના જ ઉપસરપંચ પર દાદાગીરી અને માનસિક ત્રાસ આપવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે.


સાંકળી ગામે એક યુવાનનો ઝેરી દવા પીને આપઘાત

સાંકળી ગામમાં રહેતા જયેશ મેણીયા નામના યુવાને ગત રોજ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. પરિવારના જણાવ્યા અનુસાર, આ આત્મહત્યા પાછળ ગામના ઉપસરપંચ રાજુ ખાચર જવાબદાર છે.

પરિવારના ગંભીર આક્ષેપો

મૃતકના પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે  થોડા દિવસો પહેલા ઉપસરપંચ રાજુભાઈ ખાચર અને તેમના સાગરીતોએ જયેશ મેણીયાને ઉઠાવી જઈ ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ પણ સતત ધાકધમકી આપી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેનાથી કંટાળીને જયેશે આ અંતિમ પગલું ભર્યું છે. પરિવારનો એવો પણ દાવો છે કે અગાઉ જ્યારે માર મારવાની ઘટના બની ત્યારે વઢવાણ પોલીસને જાણ કરવામાં આવી હતી, તેમ છતાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી નહોતી. જો પોલીસે સમયસર પગલાં લીધા હોત તો કદાચ આજે જયેશ જીવિત હોત.

પરિવાર અને સમાજના લોકોમાં રોષ

યુવાનના મોતના સમાચાર મળતા જ પરિવાર અને સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે માંગ કરી છે કે જ્યાં સુધી દોષિત ઉપસરપંચ અને તેના સાગરીતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ન્યાય માટે લડત ચાલુ રાખશે. હાલ વઢવાણ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, ઉપસરપંચ સામેના આક્ષેપો બાદ સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.

આ પણ વાંચો: ક્રાઈમ બ્રાન્ચે સાઉથ આફ્રિકાથી ચાલતા ઇન્ટરનેશનલ મોબાઈલ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો, પોલીસે બે શખ્સોની ધરપકડ કરી

  • Follow us on: