ખનીજ ચોરી માટે જાણીતા સુરેન્દ્રનગર જિલ્લાના ચોરવીરા વિસ્તારમાં ફરી એકવાર ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે. બેફામ બનેલા ખનન માફિયાઓ સામે લાલ આંખ કરીને તંત્રએ મબલખ ગેરકાયદે ખોદકામ ઝડપી પાડ્યું છે, જેમાં અધધ 43 જેટલા કૂવાઓ ખોદીને કોલસાની ચોરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.
ખનન માફિયાઓનું મોટું કારસ્તાન
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને બાતમી મળી હતી કે ચોરવીરા વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદે કોલસાનું ખનન ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે ટીમ દ્વારા ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે માફિયાઓએ જમીનમાં 43 જેટલા ઊંડા કૂવાઓ ખોદી નાખ્યા હતા અને તેમાંથી રાત-દિવસ કોલસો કાઢવામાં આવતો હતો.










