સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના બાકી વેરા વસૂલાતને લઈને અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે. લાંબા સમયથી વેરો ન ભરતા અને તંત્રની નોટિસોને નજરઅંદાજ કરનારા મિલકતધારકો સામે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. હાઉસટેક્સ વિભાગની ટીમે આજે સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં આક્રમક કાર્યવાહી હાથ ધરી અનેક મિલકતોને સીલ મારી દીધા છે.
નોટિસો છતાં વેરો ન ભરાતા કાર્યવાહી
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર શહેરના અનેક મિલકતધારકો પાસે વર્ષોથી લાખો રૂપિયાનો ટેક્સ બાકી છે. તંત્ર દ્વારા અગાઉ અનેકવાર નોટિસો પાઠવીને વેરો ભરી જવા તાકીદ કરવામાં આવી હતી, તેમ છતાં બાકીદારો દ્વારા કોઈ જ પ્રતિસાદ આપવામાં આવ્યો ન હતો. પરિણામે, આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટેક્સ ટીમે પોલીસ બંદોબસ્ત અને કડક અમલીકરણ સાથે મેદાને ઉતરીને સીલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી.













