આ બેઠકમાં મંત્રીએ નગરપાલિકાના ચીફ ઓફિસર, વિવિધ વિભાગના ટેકનિકલ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સીધો સંવાદ કરી શહેરના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સ અને જનસુવિધાના કામોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

પુરવઠા યોજનાઓ અને ડ્રેનેજ સિસ્ટમ જેવા પાયાના માળખાકીય કામોની પ્રગતિનો ચિતાર મેળવ્યો

બેઠક દરમિયાન પ્રભારી મંત્રીએ ધ્રાંગધ્રા શહેરમાં માર્ગોના નવીનીકરણ, પીવાના પાણીની પુરવઠા યોજનાઓ અને ડ્રેનેજ સિસ્ટમ જેવા પાયાના માળખાકીય કામોની પ્રગતિનો ચિતાર મેળવ્યો હતો. મંત્રીએ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વિકાસ માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો મહત્તમ અને પારદર્શી રીતે ઉપયોગ થવો જોઈએ. તેમણે સ્પષ્ટપણે ભાર મૂક્યો હતો કે, વિકાસકામોમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં અને તમામ પ્રોજેક્ટ્સ નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવાની જવાબદારી વહીવટી તંત્રની રહેશે.

વિકાસને નવી ગતિ મળશે અને નાગરિકોની સુખાકારીમાં વધારો થશે

મંત્રીએ સ્થાનિક પદાધિકારીઓ સાથે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા તે લોકશાહીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. નગરપાલિકાના સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા સ્થાનિક પ્રશ્નોને મંત્રીએ ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને તેના ઝડપી અને કાયમી નિરાકરણ માટે વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મંત્રીએ ખાસ કરીને શહેરમાં સ્વચ્છતા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. આ પ્રસંગે મંત્રીએ તમામ નગરપાલિકા સભ્યો સાથે સંવાદ સાધી, તેમના વોર્ડના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરી હતી. મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રાજ્ય સરકારના સતત સહયોગ અને સ્થાનિક વહીવટી તંત્રના સંકલનથી ધ્રાંગધ્રા શહેરના વિકાસને નવી ગતિ મળશે અને નાગરિકોની સુખાકારીમાં વધારો થશે. આ સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ. કે. જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, કારોબારી ચેરમેન પૂજાબેન જાદવ, ચીફ ઓફિસર મંટીલકુમાર પટેલ તેમજ નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો અને સુધરાઈ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : Surendranagar News : ધ્રાંગધ્રા ખાતે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે રૂ.10.35 કરોડના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા