લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે તાલુકામાં અંદાજે રૂ. ૮.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સી.સી. રોડના કામનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ફુટપાથ જેવી આધુનિક સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે
આ પ્રોજેક્ટ અન્વયે લીંબડીના સ્વામિનારાયણ મંદિરથી ઉંટડી પુલ સુધી તથા જગદીશ આશ્રમ બાયપાસ રોડ પર આ સી.સી. રોડનું નિર્માણ કરવામાં આવશે. 'વિકાસપથ યોજના' અંતર્ગત તૈયાર થનારા આ માર્ગ ઉપર સુરક્ષા અને સુવિધા માટે ડિવાઈડર, સ્ટ્રીટ લાઈટ, આર.સી.સી. ગટર અને રાહદારીઓ માટે ફુટપાથ જેવી આધુનિક સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
રસ્તાઓ એ કોઈપણ વિસ્તારના વિકાસની ધમની સમાન છે
ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યના છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવા માટે કટિબદ્ધ છે. રસ્તાઓ એ કોઈપણ વિસ્તારના વિકાસની ધમની સમાન છે. આ ગુણવત્તાયુક્ત માર્ગો બનવાથી સ્થાનિક ખેડૂતોને પોતાનો પાક બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે અને વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગની અવરજવર પણ સુગમ બનશે. વધુમાં, તેમને આ કાર્ય સમયમર્યાદામાં અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે સંબંધિતોને સૂચનાઓ પણ આપી હતી.
સ્થાનિકો અને ગ્રામજનો આ પ્રસંગે હાજર રહ્યાં હતા
આ નવા રસ્તાઓના નિર્માણથી લીંબડી અને આસપાસના અનેક ગામોના લોકોને સીધો ફાયદો થશે. તેનાથી વાહનચાલકોના સમય અને ઇંધણ બંનેની બચત થશે અને વિસ્તારના આર્થિક-સામાજિક વિકાસને નવી ગતિ મળશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતો-મહંતો, તાલુકાના અગ્રણીઓ, સ્થાનિક પંચાયતના હોદ્દેદારો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠામાં ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ઘર્ષણનો કેસ, વાંધાજનક પોસ્ટ ન કરવા SPએ આપી સૂચના