માર્ગ અકસ્માતના કિસ્સામાં 'ગોલ્ડન અવર'માં ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી અમલી બનાવાયેલી "પ્રાઇમ મિનિસ્ટર રોડ એક્સિડેન્ટ વિક્ટીમ્સ હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ સ્કીમ PM-RAHAT"ના સુચારુ અમલીકરણ માટે સુરેન્દ્રનગર જિલ્લા નિવાસી અધિક કલેક્ટર બી.એ.પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.


આર્થિક સંકડામણને કારણે કોઈ વ્યક્તિ જીવ ન ગુમાવે

આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને પ્રોજેક્ટની વિવિધ કામગીરી અને અમલીકરણ અંગે જરૂરી તકનીકી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી એમ.ડી. પાનશેરિયાએ પ્રેઝન્ટેશન દ્વારા જણાવ્યું હતું કે, અકસ્માતનો ભોગ બનનાર દર્દીને PMJAY આયુષ્માન કાર્ડ યોજના સાથે સંકળાયેલી નિયત હોસ્પિટલોમાં રૂ. ૧.૫ લાખ સુધીની સારવાર ૭ દિવસ સુધી બિલકુલ વિનામૂલ્યે આપવામાં આવશે. આ ઉપરાંત, અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ પીડિતને જોખમમાંથી બહાર લાવવા માટે જરૂરી તાત્કાલિક 'સ્ટેબિલાઇઝેશન ટ્રીટમેન્ટ' મફત પૂરી પાડવામાં આવશે, જેથી આર્થિક સંકડામણને કારણે કોઈ વ્યક્તિ જીવ ન ગુમાવે. વધુમાં, યોજનાની પારદર્શિતા માટે પોલીસ દ્વારા 'E-DAR' ઇલેક્ટ્રોનિક ડિટેલ્ડ એક્સિડેન્ટ રિપોર્ટ પર 'વિક્ટીમ આઇ.ડી.' જનરેટ કરવામાં આવશે. આ આઇડીને હોસ્પિટલની 'TMS' ટ્રાન્જેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ સાથે લિંક કરવામાં આવશે, જેથી સારવારની પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ અને ઝડપી બનશે. અકસ્માતની જાણ ૧૧૨ નંબર પર થતાં જ એમ્બ્યુલન્સ પીડિતને નજીકની હોસ્પિટલમાં ખસેડશે. વીમો ન ધરાવતા વાહનો કે 'હિટ એન્ડ રન'ના કિસ્સામાં સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરની સત્તા હેઠળ સારવારની રકમની ચુકવણી કરવામાં આવશે.

PMJAY હેઠળ નોંધાયેલ તમામ સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં મળશે સારવાર

નિવાસી અધિક કલેક્ટર બી.એ. પટેલે આરોગ્ય વિભાગ, પોલીસ, RTO અને ૧૦૮ ઇમર્જન્સી સેવા સહિતના તમામ સંબંધિત વિભાગોને આ યોજનાના અમલીકરણ માટે સંકલનમાં રહીને કામ કરવા અને જરૂરી તાલીમ પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક પાર્થ સી. પરમાર, ચીફ ડીસ્ટ્રીકટ મેડીકલ ઓફિસર ચૈતન્ય પરમાર, ચીફ ડીસ્ટ્રીકટ હેલ્થ ઓફિસર ડો. બી.જી.ગોહિલ, RCHO, RTO કચેરીના અધિકારીઓ, PMJAY હેઠળ નોંધાયેલ તમામ સરકારી તથા ખાનગી હોસ્પીટલોના મુખ્ય તબીબી અધિકારીઓ, ૧૦૮ જિલ્લા કો-ઓર્ડીનેટર, આયુષ્યમાન ભારત જિલ્લા પ્રોગ્રામ કો-ઓડીનેટર સહિત સંબધિત વિભાગનાં અધિકારીઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : Vadodara News : વડોદરામાં રામનવમીની શોભાયાત્રાને લઈ પોલીસ સજ્જ, 6 DCP, 10 SP, 50 PI રહેશે હાજર


  • Follow us on: