ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા તૈયાર કરવામાં આવેલા બંધારણનો વિવાદ હાલમાં ચાલી રહ્યો છે. સમાજમાં પ્રસંગોપાત ડીજેનો ઉપયોગ નહીં કરવા મુદ્દે કલાકારોમાં મતભેદ સર્જાયો છે. આ મામલે કલાકારો સામે લોકો રોષે ભરાયા છે. આ દરમિયાન સુરેન્દ્રનગરના પાટડીમાં ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હાજર રહ્યા હતાં.

વાલેવડાના દારૂ મુદ્દે અરજદારની ગેનીબેનને રજૂઆત

સુરેન્દ્રનગરના પાટડીમાં યોજાયેલી આ બેઠકમાં બંધારણ અને વ્યસનમુક્તિ અંગે ચર્ચાઓ થઈ હતી. કુરિવાજો અને ખોટા ખર્ચ કરવા સામે ચર્ચાઓ કરાઈ હતી. વાલેવડાના દારૂના મુદ્દા મુદ્દે અરજદાર દ્વારા સાંસદ ગેનીબેનને રજૂઆત કરવામાં આવી હતી. શંખેશ્વર, માંડલ, બેચરાજી સહિતના વિસ્તારોમાંથી આ બેઠકમાં ઠાકોર સમાજના લોકો હાજર રહ્યા હતાં. વાલેવડા પ્રકરણમાં ફરિયાદ પાછી લેવા માટે માગ કરવામાં આવી હતી. ગેનીબેને કહ્યું હતું કે, પોલીસ દારૂના મુદ્દે ખોટા કેસ ના કરે અને સમાજના યુવાનો બુટલેગરોને સહકાર ના આપે.