આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટ અંતર્ગત શહેરમાં અનેક નોંધપાત્ર કામો હાથ ધરવામાં આવ્યા છે, જે આગામી ત્રણ વર્ષમાં સુરેન્દ્રનગરની કાયાપલટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સાથે જ વઢવાણનો પંજાબ બેંક વાળો રસ્તો અને ૮૦ ફૂટ રોડને 'આઈકોનિક રોડ' તરીકે વિકસાવવાની નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી.


રિવરફ્રન્ટ માટે રૂ.48 કરોડનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે

શહેરના આગામી આયોજન અંગે વિગતો આપતા વધુમાં ઉમેર્યું હતું કે, કોલેજથી ગેબનશાહ પીર સુધીના રિવરફ્રન્ટ માટે રૂ. ૪૮ કરોડનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે, જ્યારે રતનપરથી વઢવાણ સુધીના રિવરફ્રન્ટ માટે રૂ. ૨૬૫ કરોડની મહત્વાકાંક્ષી યોજના સરકારમાં રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, શહેરમાં ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે મેક્સન સર્કલથી દાળમિલ રોડ સુધી રૂ. ૬૯ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની દરખાસ્ત હાલ અંતિમ તબક્કે છે.

આધુનિકીકરણ માટે રૂ.65 લાખના ખર્ચે વિકાસકામો હાથ ધરવામાં આવશે

આ કાર્યક્રમ દરમિયાન રૂ. ૯.૩૫ કરોડના ખર્ચે સાકાર થનારા વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને શહેરી પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે બસ સ્ટેશન અને બસ સ્ટોપના સંચાલન અર્થે રૂ. ૩.૬૯ કરોડ ફાળવવામાં આવ્યા છે. શહેરના સૌંદર્યીકરણ પર ભાર મૂકતા વિવિધ સર્કલો ખાતે આકર્ષક સ્કલ્પચર બનાવવા માટે રૂ. ૭૭ લાખ અને ઐતિહાસિક અજરામર ટાવર સર્કલના આધુનિકીકરણ માટે રૂ. ૬૫ લાખના ખર્ચે વિકાસકામો હાથ ધરવામાં આવશે.

વિવિધ વિભાગના અધિકારીઓ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

નાગરિકોના મનોરંજન અને પર્યાવરણની જાળવણી માટે વઢવાણ વિસ્તારમાં ખાંડીપોળ પાસે રૂ. ૧ કરોડના ખર્ચે આધુનિક બગીચો તૈયાર કરવામાં આવશે. સાથોસાથ વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવાના હેતુથી, ખાસ કિસ્સામાં ફાળવાયેલ ગ્રાન્ટમાંથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ઓફિસ બિલ્ડીંગના બીજા અને ત્રીજા માળના બાંધકામ માટે રૂ. ૩.૨૪ કરોડ ફાળવવામાં આવ્યા છે. વિકાસની આ મજલમાં સુરેન્દ્રનગરની શાન સમાન દૂધરેજ તળાવના નવીનીકરણનું કાર્ય પણ સફળતાપૂર્વક સંપન્ન થયું છે. 'અમૃત ૨.૦' યોજના અંતર્ગત રૂ. ૪.૨૪ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ નવપલ્લિત તળાવને આજે લોકાર્પણ કરી જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ તકે મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા સહિત પદાધિકારીઓ, અગ્રણીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : Surendranagar News : મિલેટ મહોત્સવમાં વચેટિયાઓ વગર ગાય આધારિત ખેતીના તાજા શાકભાજી, ફળો અને મસાલાઓનું વેચાણ



  • Follow us on: