આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાને ધ્યાને રાખીને, નાગરિકોને હીટવેવની વિપરીત અસરોથી બચાવવા માટે કલેક્ટર કચેરી દ્વારા જનસેવા કેન્દ્રો અને આધાર કેન્દ્રોના કાર્યકાળના સમયમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે.
હિટવેવને પગલે નવો સમય નક્કી કરવામાં આવ્યો છે
જિલ્લાની કલેક્ટર કચેરી, તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો, ઇ-ધરા કેન્દ્રો તેમજ બેંક અને પોસ્ટ ઓફિસમાં કાર્યરત તમામ આધાર કેન્દ્રોના સમયમાં ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ કેન્દ્રો સવારના ૧૦-૩૦ થી સાંજના ૬-૧૦ કલાક સુધી કાર્યરત રહેતા હતા, પરંતુ હવે હિટવેવને પગલે નવો સમય નક્કી કરવામાં આવ્યો છે. નવા નક્કી કરાયેલા સમય મુજબ, હવે આ કેન્દ્રો સવારે ૯-૦૦ થી બપોરે ૧-૦૦ કલાક સુધી અને ત્યારબાદ બપોર પછી ૪-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક સુધી જનતા માટે ખુલ્લા રહેશે. બપોરે ૧-૦૦ થી ૪-૦૦ દરમિયાનના અસહ્ય તાપના સમયગાળામાં જાહેર જનતાની કામગીરી બંધ રહેશે, જેથી હીટવેવની સીધી અસરથી બચી શકાય.
