ભારતી ચૂંટણી પંચ દ્વારા આગામી ઉમરેઠ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી-2026ને ધ્યાને રાખીને જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ, નોડલ ઓફિસર (દિવ્યાંગ મતદારો) અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, આણંદ દ્વારા સંયુક્ત રીતે એક વિશેષ 'દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ' યોજવામાં આવ્યો હતો.
અલગ અલગ રમતો રમાડી
'My Vote My India' ના સૂત્ર હેઠળ ચિખોદરા પ્રાથમિક કુમાર શાળા, આણંદ ખાતે દિવ્યાંગ મતદારોને દિવ્યાંગતાલક્ષી જુદી-જુદી રમતો ચેસ, કેરમ અને બેગોના માધ્યમથી મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ તકે દિવ્યાંગ મતદારો માટેના નોડલ અધિકારીએ દિવ્યાંગ મતદારોને ચૂંટણી પ્રક્રિયાની જાણકારી આપી હતી. તેમજ તેઓને મતદાન કરવા અને લોકશાહીના પર્વમાં સહભાગી થવા પ્રોત્સાહિત કરી મતદાન પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ સંસ્થાઓમાંથી મોટી સંખ્યામાં હાજર રહેલા દિવ્યાંગ મતદારો (સ્પર્ધકો)ને કાર્યક્રમમાં સહભાગી થવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.













