ઐતિહાસિક નગરી વડનગરમાં આવેલા પ્રાચીન મંદિરના વહીવટ અને પ્રોપર્ટીને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ ટ્રસ્ટમાં કોઈ કાયદેસરનું અને માન્ય ટ્રસ્ટી મંડળ અસ્તિત્વમાં ન હોવાના કારણે કાયદો અને વ્યવસ્થા તેમજ મંદિરની સંપત્તિની સુરક્ષા અર્થે નાયબ ચેરિટી કમિશનર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચેરિટી કમિશનરની કચેરી દ્વારા આ મંદિરનો વહીવટ ચલાવવા માટે સરકારી વહીવટદાર તરીકે નાયબ ચેરિટી કમિશનર અને નિરીક્ષકની કામચલાઉ નિમણૂક કરવામાં આવી હતી.
દિવસભર ચાલ્યો હાઇડ્રામા અને પોલીસ બંદોબસ્ત
આ અગાઉ, પૂર્વ ટ્રસ્ટીઓ સરકારી વહીવટદારને મંદિરનો ચાર્જ સોંપ્યા વિના જ નિકળી ગયા હતા. જેને પગલે વહીવટી તંત્ર દ્વારા તમામ ટ્રસ્ટીઓને આદેશ કરીને તાત્કાલિક મંદિરે હાજર થવા જણાવ્યું હતું. જોકે, સવારથી એક પણ ટ્રસ્ટી હાજર ન થતાં વાતાવરણ તંગ બન્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસનો મોટો કાફલો સવારથી જ મંદિર પરિસરમાં તૈનાત કરી દેવામાં આવ્યો હતો.










